બદલાયેલા સંજોગોમાં યોગી-ભાગવતની મુલાકાત શું નિર્દેશ આપશે: શું ગોરખપુરની મુલાકાતે આવેલા ભાગવતને આદિત્યનાથ કાયમની પરંપરા મુજબ મળશે? ગત બેઠકમાં 50 મિનિટ સુધી થઈ હતી ચર્ચા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_081814_Yogi and aditya.webp)
- 13 Jun, 2024
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે મુલાકાત થાય તેવી શક્યતા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે થોડા દિવસો પહેલા જ ભાજપ ઉત્તરપ્રદેશમાં ખરાબ રીતે હારી ગઈ છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પાંચ દિવસના પ્રવાસે ગોરખપુર પહોંચ્યા છે. ગોરખપુરમાં આરએસએસનો વર્ગ પ્રશિક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે સીએમ યોગી આદિત્યનાથ પણ ગોરખપુરમાં એક બઠકમાં હાજરી આપવા જઈ શકે છે. આ સંજોગોમાં ગોરખપુરમાં સીએમ યોગીની મોહન ભાગવત સાથે આજે રાતે અથવા તો આવીતીકાલે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
યોગી આદિત્યનાથ આવતીકાલે ગોરખપુરના વિકાસને લઈને અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. આ અંતર્ગત તેઓ આજે સાંજે ગોરખપુર જઈ શકે છે. એવામાં અત્યારે સવાલ એ છે કે બંનેની વચ્ચે જો કદાચ મુલાકાત થઈ તો શું વાત થશે? ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત જ્યારે પણ ગોરખપુરમાં આવે છે તો હમેશાં સીએમ યોગી આદિત્યનાથે તેમની સાથે મુલાકાત કરી જ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જેવા સીએમ યોગી લખનઉથી ગોરખપુર જશે કે તરત જ તેમની મોહન ભાગવત સાથે મુલાકાત થશે. સીએમને જિલ્લા વિકાસની બેઠકમાં પણ સામેલ થવાનું છે. એવામાં તેઓ આજે સાંજે ગોરખપુર જઈ શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે તેઓ એરપોર્ટથી સીધા જ આરએસએસ ચીફની મુલાકાત કરવા જશે.
એમ કહેવાઈ રહ્યું છે કે મુલાકાત દરમિયાન હાલની રાજકીય બાબતો પર વાતચીત થશે. જ્યાં સુધી સમય મળવાની વાત છે તો અત્યાર સુધી એવું બન્યું નથી કે ભાગવત ગોરખપુરમાં હોય અને સીએમ યોગી આદિત્યનાથ તેમને જઈને ન મળ્યા હોય. આરએસએસ, બીજેપીનું પિતૃસંગઠન છે અને મોહન ભાગવત તેના પ્રમુખ છે. એવામાં તેઓ જે પણ રાજ્યમાં જાય છે, ત્યાંના સીએમને તેઓ ખાસ મળે છે. સંગઠનના સ્તરે વાત કરવામાં આવે તો ભાગવત સાથે મુલાકાત કરવી તે એક પ્રોટોકોલ પણ છે, જેનું પાલન હમેશા સીએમ યોગી આદિત્યનાથે કર્યું જ છે. જોકે આ વખતે પરિસ્થિતિ કઈંક જુદી જ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના ચીફ મોહન ભાગવતની છેલ્લી મુલાકાત લખનઉમાં 22 સપ્ટેમ્બર 2023ના રોજ થઈ હતી. આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પાટનગરના નિરાલા નગર સ્થિત સરસ્વતી શિશું મંદિર ખાતે થયેલી આ બેઠક લગભગ 50 મિનિટ ચાલી હતી. ચાર દિવસ માટે ઉત્તરપ્રદેશની મુલાકાતે આવેલા ભાગવતને પ્રથમ દિવસે જ સીએમ યોગી આદિત્યનાથ મળ્યા હતા.